| |
આ ગ્રંથમાં ‘જીવનનો આનંદ’ (1961), ‘રખડવાનો આનંદ’ (1961) અને ‘અવારનવાર’ (1956) એ લલિત નિબંધની કૃતિઓ પુનર્મુદ્રિત કરી છે.
‘જીવનનો આનંદ’ની પ્રથમ આવૃત્તિ (1936)માં પાંચ ખંડ હતા. એના પ્રથમ ખંડમાં 39, બીજામાં 12, ત્રીજામાં 12, ચોથામાં 18 અને પાંચમામાં 17 લેખો હતા. સુધારાવધારાવાળી લેખકે તૈયાર કરેલી બીજી આવૃત્તિ (1939, 1944)માં પહેલા ખંડમાં ‘લુચ્ચો વરસાદ’ લેખ ઉમેરી સંખ્યા 40, બીજામાં ‘કરાંચી જતાં-પત્ર’ અને ‘અલૌકિક કલ્પના’ લેખ ઉમેરીને અને પહેલી આવૃત્તિના ‘દેવોનું કાવ્ય’ના પાંચ સ્વતંત્ર લેખોને આ આવૃત્તિમાં ‘દેવોનું કાવ્ય-1’ એ શીર્ષકથી એક જ લેખમાં સમાવતાં સંખ્યા 10, ત્રીજા ખંડમાં ‘મોજાઓનો તાંડવ યોગ’ લેખ ઉમેરતાં સંખ્યા 13, ચોથા ખંડ ‘રખડવાનો આનંદ’ના લેખો આ આવૃત્તિમાંથી કાઢી લઈ, પાંચમાં ખંડને ચોથો ખંડ બનાવી એંમાં ‘કળા અને અશ્લીલતા’ તથા ‘જીવનમાં સૌન્દર્યનું સ્થાન’ એ બે લેખ ઉમેરી અને ‘મહેલનું ચિત્ર’ એ લેખને ‘વિશ્પતિના વૈભવમાં નૃપતિનો મહેલ’ એવું નામ આપી આ ખંડની સંખ્યા 19 કરવામાં આવી. લેખકે તૈયાર કરેલી ત્રીજી આવૃત્તિ (1952, 1961)માં પહેલા ખંડમાં ‘વાસંતિક રાત્રિ’, ‘ચાંદની રાત’, ‘સંધ્યાકાળનાં વાદળાં’, ‘ચોમાસુ માણીંએ!’, ‘શિયાળાનો સંદેશો’ અને ‘છૂટેલા રમતિયાળ પાંદડાં’ એ છ લેખો ઉમેરી સંખ્યા 46 કરી, બીજા ખંડમાં ‘દિઙમૂઢતા’, ‘ગતિભ્રમ’, ‘રવિમાર્ગના વિભાગ’, ‘દેવોનું કાવ્ય-2’ અને ‘આકાશદર્શન-2’ એ પાંચ લેખ ઉમેરી સંખ્યા 15ની કરી, અને બીજી આવૃત્તિમાંના ‘અલૌકિક કલ્પના’ લેખને અહીં ‘મજાની કલ્પના’ નામ આપી પ્રસિદ્ધ કર્યો. ત્રીજી ખંડમાં ‘સમુદ્રકિનારે’, ‘પથરાની આસપાસ’, ‘ચિંચવડના પથરા’, ‘કવિ અને ચારણ’, ‘કુદરતની રોનક’, ‘ઊડતાં ફૂલ અને સ્થાવર પતંગિયાં’ એ છ લેખો ઉમેરી સંખ્યા 19ની કરી, પરંતુ આ ખંડમાના ‘રણ કે સરોવર’ અને ‘મોજાંઓનો તાંડવયોગ’ એ બે લેખો પાછળથી ‘જીવનલીલા’માં લેખકે પ્રગટ કર્યા હોઈ આ ગ્રંથમાં તે લેવામાં આવ્યા નથી એટલે અહીં ત્રીજા ખંડની સંખ્યા 17 છે. ચોથા ખંડમાં ‘એ ઝૂંપડીના વાંદરા’, ‘સુંદર ચિત્ર’, ‘ગગનેન્દ્રનાથ ઠાકુરના બે ચિત્રો’, ‘સંગીતની સંસ્કારિતા’ અને ‘વૈરાગ્ય અને કળારસિકતા’ એ પાંચ લેખ ઉમેરી સંખ્યા 24ની કરેલી છે.
‘‘રખડવાનો આનંદ’ (‘જીવનનો આનંદ’ની પહેલી આવૃત્તિનો ચોથો ખંડ) ‘જીવનનો આનંદ ભાગ-2’ તરીકે 1953માં લેખકે પ્રગટ કર્યો હતો. એની પ્રથમ આવૃત્તિમાં 64 લેખો હતા. બીજી આવૃત્તિ(1961)માં લેખકે એમાં 54મા લેખ તરીકે ‘મણિપુરનાં દર્શને’ લેખ ઉમેરી સંખ્યા 65ની કરી. 25મા લેખનું શીર્ષક ‘એકાકી અશ્વત્થ’ બદલીને ‘એકાકી વટવૃક્ષ’ અને બીજી આવૃત્તિના 64મા લેખ ‘અજંટા એક પત્ર’નું શીર્ષક ‘અજંટા’ કર્યું હતું. ‘રખડવાનો આનંદ’ના 65 લેખોમાંથી લેખકે 10 લેખો (‘દક્ષિણને છેડે’, ‘સંધ્યારસ’, ‘છપ્પન વરસની ભૂખ’, ‘મંચરની જીવનવિભૂતિ’, ‘નિશીથયાત્રા’, ‘જીવનતીર્થ હરદ્વાર’, ‘સહસ્ત્રધારા’, ‘ગુચ્છુપાની’, ‘ચાંદીપુર’ અને ‘સરિતા-સંસ્કૃતિ’ – ‘જીવનલીલા’નો પ્રાસ્તાવિક લેખ-) ‘જીવનલીલા’માં લેખકે પાછળથી સમાવિષ્ટ કર્યા હોવાથી આ ગ્રંથમાં તે પ્રગટ કર્યા નથી.
‘અવારનવાર’ (1956)ના 70 લેખો પૈકી આ ગ્રંથના સ્વરૂપને અનુરૂપ 50 લેખો અહીં મુદ્રિત કર્યા છે. નદી મુખેનવ સમુદ્રમાવિશેત્ લેખ જીવનલીલીમાં લેખકે મૂકેલો હોવાથી અહીં પ્રગટ કર્યો નથી. બાકીના 19 લેખ ‘અવારનવાર’-2’ શીર્ષકથી આ ગ્રંથાવલિના અન્ય ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવશે. |
|