| આ ગ્રંથમાં ‘ઉગમણો દેશ’ (ઈ.1958), ‘જીવનલીલા’ (‘લોકમાતા’ની સંવર્ધિત રૂપ, 1956, સુધારેલી-વધારેલી બીજી આવૃત્તિ 1959), ‘ભારતદર્શન’ ભાગ 1 થી 4 (ઈ.1967થી 1968) એ પુસ્તકો તેમજ પ્રવાસ અને પ્રકૃતિલક્ષી કેટલાક અગ્રંથસ્થ લેખો સંગ્રહિત કરવામાં આવ્યા છે.
‘જીવનલીલા’માં કુલ 70 લેખો હતા. એમાંથી ‘ગોકર્ણની યાત્રા’ અને ‘તેરદાળનું મૃગજળ’ ‘સ્મરણયાત્રા’માં, ‘ભરતની આંખે’ ‘રખડવાનો આનંદ’માં, ‘સાર્વભોમ ભરતી-ઓટ’ અને ‘કરાંચી જતાં’ ‘જીવનનો આનંદ’માં, ‘સમુદ્રની પીઠ પર’, ‘સરોવિહાર’ તેમજ ‘સુર્વણદેશની માતા ઐરાવતી’ ‘બ્રહ્મદેશનો પ્રવાસ’માં તથા ‘સમુદ્રના સહવાસમાં’ અને ‘નીલોત્રી’ ‘પૂર્વ આફ્રિકામાં’ પ્રગટ થયેલા હોવાથી અહિ પુનર્મુદ્રિત કર્યા નથી. એટલે આ પુસ્તકની લેખ સંખ્યા 70ને બદલે 60 છે.
‘‘ભારતદર્શન’ના પહેલા ત્રણ ભાગના ઘણાખરા લેખો લેખકના અન્ય ગ્રંથોમાં (‘હિમાલયનો પ્રવાસ’, ‘જીવનનો આનંદ’, ‘રખડવાનો આનંદ’ અને ‘જીવનલીલા’માં) પ્રકાશિત થયેલા છે. એટલે પહેલા ભાગના ત્રણ (‘સહ્યાદ્રિના ઘાટ’, ‘પંઢેરી’ અને ‘સહ્યાદ્રિને શ્રદ્ધાંજલિ), બીજા ભાગનો એક (‘દક્ષિણભારતનું ઉત્તુંગ કાવ્ય નીલગિરિ’) તથા ત્રીજા ભાગનો એક (‘અવંતિની શિપ્રા’; - ‘કામાખ્યાના રાજ્ય’માં એ ત્રીજા ભાગનો લેખ ‘રખડવાનો આનંદ’માં ‘આસામની એક ઝાંખી’ નામે પ્રગટ થયો છે) એમ પાંચ લેખો ઉપરાંત ચોથા ભાગના બાવીસમાંથી 19 (ત્રણ લેખો ‘સહસ્ત્રધારા’ ‘ગુચ્છુપાની’ એ ‘જીવનલીલા’માં અને ‘ધૌલી પછી કાલસી’ એ ‘રખડવાનો આનંદ’માં પ્રગટ થયેલા છે) એમ કુલ 24 લેખો ભારતદર્શન શીર્ષકથી અહિ પ્રગટ કર્યા છે. જુદા જુદા સામયિકોમાં પ્રગટ થયેલા પરંતુ અગ્રંથસ્થ રહેલા કાકાસાહેબના અન્ય પ્રવાસ અને પ્રકૃતિલક્ષી 40 લેખો અહિં પ્રથમવાર ગ્રંથસ્થ થાય છે.
કાકાસાહેબના લખાણોમાં વિવિધ રસો અને જીવનશ્રદ્ધાઓ વારંવાર ઓતપ્રોત થઈને આવતા હોય છે. એટલે ચોક્કસ વિષય અનુસાર એમના લેખોનું વર્ગીકરણ કરવું તે મુંઝવતો સવાલ છે. તેમ છતાં શક્ય તેટલું વર્ગીકરણ કરવા પ્રયાસ કર્યો છે. જો કે આમાં અભિપ્રાય ભેદને ખાસ્સો અવકાશ રહે. |