| |
આ ગ્રંથમાં ‘હિમાલયનો પ્રવાસ’ (પ્રથમ આવૃત્તિ 1924, છઠ્ઠી આવૃત્તિ 1971), બ્રહ્મદેશનો પ્રવાસ (1931), ‘પૂર્વ આફ્રિકામાં’ (1951) અને ‘શર્કરાદ્વિપ મોરિશિયસ અને બીજા ટાપુઓ’ (1962) એ પ્રવાસકૃતિઓ પુનર્મુદ્રિત કરી છે. હિમાલયનો પ્રવાસની પહેલી આવૃત્તિ ઈ.1942માં ‘હિમાલયનો પ્રવાસ અને ઉત્તરાખંડની યાત્રા’ એ શીર્ષકથી પ્રગટ થઈ હતી. એમાં ત્રણ વિભાગો હતા. પ્રથમ વિભાગના 13 લેખો ઈ.1971ની આવૃત્તિમાં ક્રમાંક 10-12થી પ્રગટ થયા છે. એમાંનો ‘સચ્ચિત સુખ તો તૂ પરબ્રહ્મ કેવળ’ એ ત્રીજો લેખ ઈ.1971ની આવૃત્તિમાં ‘હિમાલયની પહેલી શિખામણ’ એ બદલેલા શીર્ષકથી પ્રકાશિત થયો છે. બીજા વિભાગ ‘ઉત્તરાખંડની યાત્રા’માંના 7 લેખોમાંથી ઈ.1971ની આવૃત્તિમાં પ્રસ્થાન સિવાયના છ લેખો ક્રમાંક 3-8 થી પ્રકાશિત થયા છે. અને 4-અ લેખ ઉમેરવામાં આવેલો છે. પ્રથમ લેખ ‘પ્રસ્થાન’ની થોડીક કંડીકાઓ ઈ.1971ની આવૃત્તિમાં ‘સંકલ્પ’ નામના એક પાનાના પ્રથમ લેખમાં પ્રકાશિત થઈ છે. ત્રીજો વિભાગ ‘બુદ્ધગયા અને પાવાપુરી’ના લેખોનો (‘બુદ્ધગયા’ અને ‘મહાવીરની કૈવલ્યભૂમિ’) બનેલો છે. પરંતુ ઈ.1971ની આવૃત્તિમાં એનો સમાવેશ કર્યો નથી. કેમ કે તે બે લેખોનો સમાવેશ એમણે ‘રખડવાનો આનંદ’ પુસ્તકમાં કર્યો છે.
‘બ્રહ્મદેશનો પ્રવાસ’ અને ‘પૂર્વ આફ્રિકામાં’ એ બંને પુસ્તકો યથાવત્ છે. ‘શર્કરાદ્વિપ, મોરિશિયસ અને બીજા ટાપુઓ’ એ પુસ્તક ‘ઉગમણો દેશ’ (1958) પછી ઈ.1962માં પ્રગટ થયો હોવા છતાં આ ગ્રંથાવલિની પૃષ્ઠ સંખ્યાની મર્યાદા જાળવવા આ ગ્રંથમાં સમાવિષ્ટ કર્યું છે, ‘શર્કરાદ્વીપ, મોરિશિયસ અને બીજા ટાપુઓ’ એ પુસ્તક ઉપર શ્રી સરોજિની નાણાવટીનું નામ લેખિકા તરીકે પ્રગટ થયું છે. વાસ્તવમાં શ્રી સરોજિનીબહેને સંપાદક મંડળને જણાવ્યા પ્રમાણે એ પુસ્તકનું માત્ર સંકલન અને સંપાદન એમણે કર્યું હોવાથી તેના કર્તા કાકાસાહેબ કાલેલકર જ રહે છે. |
|